જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુએ બીમારીથી કંટાળીને કર્યો આપઘાતઃ સુસાઈડ નોટમાં વ્યક્ત કરી વ્યથા
જેતપુરના બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામની વચ્ચે આવેલા પવિત્ર રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુના આપઘાતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ઘણા સમયથી મંદિરની સેવામાં સમર્પિત રહેલા મહંતે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેની વિગતો તેમની પાસેથી મળેલી “સુસાઈડ નોટ‘પરથી બહાર આવી છે, જેમાં બીમારીથી કંટાળીને આપધાત કર્યો હોવાનું જણાવ્યું છે.
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ના બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામની વચ્ચે આવેલા પવિત્ર રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુના નિધનથી ભક્તોમાં ભારે ગમગીની
છવાઈ ગઈ છે. મહંત કરસનદાસ બાપુએ છોડેલી સુસાઈડ નોટ અત્યંત હૃદયદ્રાવક છે. આ નોટમાં તેમણે પોતાના જીવનના છેલ્લા ૪૭ વર્ષનો ચિતાર આપ્યો છે. તેમણે લખ્યું છે કે, તેઓ ૪૭ વર્ષ પહેલાં પોતાનો પરિવાર છોડી સંન્યાસી બની ગયા હતા. મૂળ ટાટા મીઠાપુરના વતની અને વરીયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા મહંતે છેલ્લા ૪૫ વર્ષ રણુજા ધામ મંદિરની સેવા- પૂજામાં વિતાવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા ૪૭ વર્ષથી તેમણે પોતાના પરિવારજનો સાથે કોઈ સંપર્ક રાખ્યો નહોતો અને પોતાનું સમગ્ર જીવન ઈશ્વર ભક્તિ અને સેવામાં
અર્પણ કરી દીધું હતું. સુસાઈડ નોટમાં આટલા મોટા પગલા પાછળનું મુખ્ય કારણ ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું છે. મહંતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ છેલ્લા
દસ વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યાહતા. શરીરમાં ફેલાયેલી આ બીમારીને કારણે થતું દર્દ હવે અસહ્ય બની ગયું હતું, જેને સહન કરવું તેમના માટે અશક્ય થઈ પડયું હતું. પોતાની વ્યથા ઠાલવતા તેમણે લખ્યું છે કે, શારીરિક પીડાથી કંટાળીને . જ તેમણે આ અંતિમ માર્ગ પસંદ કર્યો છે. મહંત કરસનદાસ બાપુએ તેમની પાછળ મંદિરની વ્યવસ્થા અને ગાદી
માટે પણ મહત્વની સૂચના આપી છે. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, બોરડી સમઢીયાળાના સરપંચ તથા કાર્યકતા મંડળે રણુજા ધામના નવા મહંત તરીકે “વડલ હનુમાન'ના સેવા પૂજારી રામદાસ બાપુની નિમણૂક કરવી. તેમણે પોતાની જવાબદારીઓ હવે રામદાસ બાપુને સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહંતને મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટને કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો મહંતના અવસાનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. રણુજા ધામ ખાતે તેમના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે.


